પ્રધાનમંત્રીએ મણિપુર અને ત્રિપુરામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રીએ આજે મણિપુર અને ત્રિપુરામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મણિપુરનાં ઈમ્ફાલ ખાતે આશરે રૂ.1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે રૂ.2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે. પ્રધાનમંત્રીએ રૂ.1700 કરોડથી વધુના ખર્ચે બંધાનારા પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગોનાં નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે રૂ.75 કરોડના ખર્ચે બરાક નદી પર બંધાયેલા રાષ્ટ્રીય રાજમાર્ગ-37 પર સ્ટીલના બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેતુ સિલ્ચર અને ઇમ્ફાલ વચ્ચેના ટ્રાફિકને હળવો કરશે. તેમણે આશરે રૂ.1100 કરોડના ખર્ચે બંધાયેલા 2387 મોબાઇલ ટાવર્સ પણ મણિપુરની જનતાને સમર્પિત કર્યા હતા. રૂ.280 કરોડની થાઉબલ બહુહેતુક પરિયોજનાની જળ વિતરણ પ્રણાલિ- જે ઇમ્ફાલ શહેરને પીવાનાં પાણીનો પુરવઠો પૂરો પાડશે; તમેંગ્લોગ જિલ્લાની દસ વસાહતોનાં રહીશોને સલામત પીવાનું પાણી પૂરું પાડવા રૂ.65 કરોડના ખર્ચે નિર્મિત જળ પુરવઠા યોજના પરિયોજના અને આ વિસ્તારના રહીશોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવા રૂ.51 કરોડના ખર્ચે નિર્મિત ‘સેનાપતિ જિલ્લા જળ પુરવઠા યોજના વધારવી’ એનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઇમ્ફાલમાં પીપીપી ધોરણે આશરે રૂ.160 કરોડના ખર્ચે બંધાનારી ‘અત્યાધુનિક કેન્સર હૉસ્પિટલ’નું પણ ભૂમિપૂજન કર્યું હતું. તેમણે કિયામગેઈ ખાતે ‘200 બૅડ્સની કોવિડ હૉસ્પિટલ’નું ઉદઘાટન પણ કર્યું હતું જે ડીઆરડીઓ સાથે સહયોગમાં આશરે રૂ.37 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. ‘ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ, રૂ.170 કરોડથી વધુના ખર્ચે વિકસાવાયેલ ત્રણ પરિયોજનાઓનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું જેમાં ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઇસીસીસી)’, ઇમ્ફાલ નદી પર પશ્ચિમી રિવરફ્રન્ટનો વિકાસ (પહેલો તબક્કો)’ અને ‘થંગલ બજાર ખાતે મૉલ રોડનો વિકાસ (તબક્કો પહેલો)’ નો સમાવેશ થાય છે.
રાજ્યમાં આશરે રૂ.200 કરોડના ખર્ચે બંધાનારા ‘સેન્ટર ફોર ઇન્વેશન, ઈનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (સીઆઇઆઇઆઇટી)નો પણ પ્રધાનમંત્રીએ શિલાન્યાસ કર્યો હતો. તેમણે હરિયાણાના ગુડગાંવ ખાતે રૂ.240 કરોડથી વધુના ખર્ચે બંધાનારા મણિપુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સનાં નિર્માણ માટેનો પણ શિલાન્યાસ કર્યો હતો. સમારોહને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હવેથી થોડા દિવસોમાં, 21મી જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યાને 50મી વર્ષગાંઠ છે. આ હકીકત, આઝાદીનાં 75 વર્ષોના અમૃત મહોત્સવના અવસરની સાથે પોતાનામાં જ એક બહુ મોટી પ્રેરણા છે.
આજે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું એ યોજનાઓ માટે પ્રધાનમંત્રીએ મણિપુરનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સંપૂર્ણ બહુમતી અને સંપૂર્ણ પ્રભાવ સાથે ચાલતી એક સ્થિર સરકારની રચના માટે મણિપુરનાં લોકોનો આભાર માન્યો હતો. તેમણે ભાર મૂક્યો હતો કે આ સ્થિરતા અને મણિપુરનાં લોકોની પસંદનાં કારણે જ છ લાખ ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિ હેઠળ સેંકડો કરોડો રૂપિયા મળવા; પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 6 લાખ ગરીબ પરિવારોને લાભો મળવા; પીએમએવાય હેઠળ 80 હજાર ઘરો; આયુષ્માન યોજના હેઠળ 4.25 લાખ દર્દીઓની મફત તબીબી સારવાર; 1.5 લાખ મફત ગેસ જોડાણો; 1.3 લાખ મફત વીજળીનાં જોડાણો; 30 હજાર શૌચાલયો; 30 લાખથી વધુ મફત રસીનાં ડૉઝીસ અને રાજ્યના દરેક જિલ્લામાં ઑક્સિજન પ્લાન્ટ્સ જેવી સિદ્ધિઓ વાસ્તવિકતા બની શકી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણિપુર મુલાકાત બાદ ત્રિપુરા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ અહીં અગરતલા ખાતે મહારાજા વીર વિક્રમ વિમાની મથકનાં નવા એકીકૃત ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના તેમ જ વિદ્યાજ્યોતિ સ્કૂલ પરિયોજના મિશન હન્ડ્રેડનો શુભારંભ પણ કરાવ્યો હતો.
મહારાજા બીર બિક્રમ હવાઇમથકમાં રૂ. 450 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલુ સંકલિત ટર્મિનલ ભવન 30,000 ચોરસ મીટરમાં ફેલાયેલું એક અદ્યતન ભવન છે, જેમાં આધુનિક સુવિધાઓ છે અને તે નવીનતમ IT નેટવર્ક સંકલિત સિસ્ટમ દ્વારા સમર્થિત છે. નવા ટર્મિનલ ભવનનો વિકાસ એ દેશના તમામ હવાઇમથકોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ હાથ ધરવામાં આવેલી કામગીરી છે. વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટ મિશન 100નો ઉદ્દેશ રાજ્યની 100 વર્તમાન ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અત્યાધુનિક સુવિધાઓ તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વિદ્યાજ્યોતિ શાળાઓમાં રૂપાંતરિત કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ પરિયોજના હેઠળ નર્સરીથી 12માં ધોરણ સુધીનાં લગભગ 1.2 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે અને આગામી ત્રણ વર્ષમાં લગભગ રૂ. 500 કરોડનો ખર્ચ થશે.
મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે વિકાસના મૂળભૂત ક્ષેત્રોમાં સેવાની ડિલિવરી માટે સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવાનો છે. આ યોજના માટે પસંદ કરવામાં આવેલા મુખ્ય ક્ષેત્રોમાં પરિવારોને પાણીના નળના જોડાણો, ઘરેલું વીજળીના જોડાણો. તમામ પ્રકારના હવામાનમાં ઉપયોગમાં લઇ શકાય તેવા માર્ગોનું નિર્માણ, દરેક પરિવાર માટે કાર્યરત શૌચાલયો, દરેક બાળક માટે ઇમ્યુનાઇઝેશનની ભલામણ સ્વ સહાય સમૂહોમાં મહિલાઓની ભાગીદારી વગેરે સામેલ છે. આ યોજનાથી ગામડાઓમાં વિવિધ ક્ષેત્રોમાં સેવાઓની ડિલિવરીમાં સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવામાં પ્રોત્સાહન મળશે અને તેનાથી પાયાના સ્તરે સેવાઓની ડિલિવરીમાં સુધારો લાવવા માટે ગામડાઓ વચ્ચે મજબૂત સ્પર્ધા થશે તેવી પણ અપેક્ષા છે.
