પ્રધાનમંત્રીએ 11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઉંચી 'સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી'નું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ ખાતે 11મી સદીના મહાન સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી"ના અનાવરણ કર્યું. જ્યાં તેમણે પ્રતિમાના પ્રતિક સ્વરૂપનું પૂજન કર્યું હતું. આ પ્રતિમા સંત રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે.સંત રામાનુજાચાર્યની આ પ્રતિમા ભારત તેમજ વિશ્વમાં સમાનતાના પ્રતીક સમી ગણાવવામાં આવી રહી છે. પ્રતિમાના અનાવરણ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીરામ નગરમાં આવેલી યજ્ઞ શાળામાં મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદની એક દિવસીય મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ક્રોપ્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર, સેમી એરિડ ટ્રોપિક્સના સુવર્ણ જયંતિ સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો ઉપરાંત પ્લાન્ટ પ્રોટેક્શન એન્ડ રેપિડ જનરેશન એડવાન્સમેન્ટ સુવિધા અંતર્ગત જળવાયુ પરિવર્તન અનુસંધાન સુવિધાનું ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું. આ સુવર્ણ જયંતિ સમારોહમાં તેમણે ખાસ ડિઝાઇન કરાયેલા પ્રતીકચિહ્નનુ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેણે સ્મૃતિ ટપાલ ટિકિટ પણ લોન્ચ કરી હતી અને કૃષિવિષયક પ્રદર્શનનું અવલોકન કર્યુ હતું.
ભેદભાવ વિના વિકાસ થવો જોઇએ: પ્રધાનમંત્રી
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતો પાસે પાંચ દાયકાના અનુભવો છે. આપણે સંશોધન, પરિશ્રમ અને સંસાધનોનો ઉપયોગ કરીને વિશ્વના મોટા ભાગમાં ઘણુ યોગદાન આપ્યું છે અને જળવાયુ પરિવર્તન અંગે પણ ભારતે ઘણુ બધુ કાર્ય કર્યુ છે. જળવાયુ પરિવર્તન આજે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે. વિકાસ થવો જોઈએ, ભેદભાવ વિના સૌનો થવો જોઈએ, સામાજિક ન્યાય દરેકને મળવો જોઈએ, ભેદભાવ વિના. જેઓ સદીઓથી પરેશાન હતા, તેઓએ સંપૂર્ણ ગૌરવ સાથે વિકાસના ભાગીદાર બનવું જોઈએ, આ માટે આજનું બદલાતુ ભારત સંયુક્ત પ્રયાસ કરી રહ્યો છે. આજે રામાનુજાચાર્યજી આપણને સમાનતાની વિશાળ પ્રતિમાના રૂપમાં સમાનતાનો સંદેશ આપી રહ્યા છે. આ સંદેશ સાથે, આજે દેશ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' ના મંત્ર સાથે તેના નવા ભવિષ્યનો પાયો નાખી રહ્યો છે. આજના વિશ્વમાં, જ્યારે સામાજિક સુધારણા, પ્રગતિવાદની વાત થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે સુધારા મૂળથી દૂર જવાથી થશે. પરંતુ, જ્યારે આપણે રામાનુજાચાર્યને જોઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પ્રગતિશીલતા અને પ્રાચીનતા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી.
રામાનુજાચાર્યજીએ પોતાનું જીવન કર્મને સમર્પિત કર્યું છે: પ્રધાનમંત્રી
વધુમાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતુ કે, એવું જરૂરી નથી કે સુધારણા માટે વ્યક્તિએ પોતાના મૂળથી દૂર જવું પડે. આપણે આપણા વાસ્તવિક મૂળ સાથે જોડાઈએ, આપણી વાસ્તવિક શક્તિથી પરિચિત થઈએ તે જરૂરી છે. એક તરફ રામાનુજાચાર્યના ભાષ્યો જ્ઞાનની પરાકાષ્ઠા છે તો બીજી તરફ તેઓ ભક્તિમાર્ગના પિતા પણ છે. એક તરફ તેઓ સમૃદ્ધ સંન્યાસ પરંપરાના સંત પણ છે અને બીજી તરફ તેઓ ગીતાભાષ્યમાં ક્રિયાનું મહત્વ પણ રજૂ કરે છે. રામાનુજાચાર્યજીએ પોતાનું જીવન કર્મને સમર્પિત કર્યું છે. ભારત એક એવો દેશ છે, જેના ઋષિમુનિઓએ જ્ઞાનને સ્વીકૃતિ-અસ્વીકારથી ઉપર ઉઠીને જોયું. આપણે અહીં અદ્વૈત પણ છે અને દ્વૈત પણ છે. અને આ દ્વૈત-અદ્વૈતનો સમાવેશ કરીને, શ્રી રામાનુજાચાર્યજી પાસે પણ વિશિષ્ઠ-દ્વૈત છે. જગદગુરુ શ્રી રામાનુજાચાર્યજીની વિશાળ પ્રતિમા દ્વારા ભારત માનવ ઊર્જા અને પ્રેરણાઓને મૂર્ત બનાવી રહ્યું છે. રામાનુજાચાર્યજીની આ પ્રતિમા તેમના જ્ઞાન, અખંડિતતા અને આદર્શોનું પ્રતિક છે.
