પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં આયોજિત 17મા પ્રવાસી ભારતીય દિવસનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્દોર તે સ્વચ્છતા અને સ્વાદ એમ બંનેની રાજધાની છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. અમૃતકાળમાં દેશ ગ્લોબલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યો છે.
આ પ્રસંગે ગુઆનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઇરફાન અલી મુખ્ય અતિથી અને સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથીપદે ઉપસ્થિત રહ્યા હતા. સૂરીનામના પ્રમુખ ચદ્રિકા પ્રસાદે સમારંભને સંબોધતાં એક પ્રવાસી કોશની રચના કરવા સૂચન કર્યું હતું. ગુઆનાના પ્રમુખે ભારત તેમના પૂર્વજોની ભૂમિ હોવાનું જણાવીને કહ્યું હતું કે, ભારત આપણા સૌનું છે.
વિદેશમંત્રી એસ. જયશંકર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ સમારંભમાં ઉપસ્થિત હતા. આ પ્રસંગે એક ટપાલ ટિકીટ `સુરક્ષિત જાઓ, પ્રશિક્ષિત જાઓ ' પણ બહાર પાડવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે પ્રવાસી સ્વતંત્રતા સૈનિકોના યોગદાન પર પહેલી જ વાર એક પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું આયોજન થશે.
મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સમાપન સત્રનું અધ્યક્ષપદ સંભાળશે અને પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કરશે. કોવિડ મહામારીને કારણે દેશમાં ચાર વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઈ રહ્યું છે. સંમેલનમાં 70 દેશોના ત્રણ હજાર 500થી વધુ પ્રવાસી ભાગ લઇ રહ્યા છે.
