પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-20 ઊર્જા મંત્રીઓની બેઠકમાં સંબોધન કર્યું
Live TV
-
ભારતે નવ વર્ષ અગાઉ તેના બિન-અશ્મિભૂત સ્થાપિત વિદ્યુત ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો- PM નરેન્દ્ર મોદી
ગોવામાં ઊર્જા સંક્રમણ અને G-20 બેઠકનો આજે અંતિમ દિવસ છે. ગોવામાં ઉર્જા સંક્રમણ પર મંત્રી સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. સંબોધનની શરૂઆતમાં ભારતમાં મહાનુભાવોને આવકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્ય, સ્થિરતા, વૃદ્ધિ અને વિકાસ વિશે કોઈ પણ ચર્ચા ઊર્જાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી છે, કારણ કે તેનાથી તમામ સ્તરે વ્યક્તિઓ અને રાષ્ટ્રોનાં વિકાસ પર અસર થાય છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક દેશ ઊર્જા પરિવર્તન માટે અલગ વાસ્તવિકતા અને માર્ગ ધરાવે છે, તેમ છતાં તેઓ દ્રઢપણે માને છે કે, દરેક દેશનાં લક્ષ્યાંકો સમાન છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતના પ્રયાસો તરફ તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને તેમ છતાં તે તેની આબોહવા પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ તરફ મજબૂતપણે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતે નવ વર્ષ અગાઉ બિન-અશ્મિભૂત સ્થાપિત વીજળીની ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે અને પોતાનાં માટે વધારે ઊંચો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત સૌર અને પવન ઊર્જામાં વૈશ્વિક નેતાઓમાંનું એક છે." તેમણે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કાર્યકારી જૂથના પ્રતિનિધિઓને પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લઈને સ્વચ્છ ઊર્જા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાના સ્તર અને વ્યાપને નિહાળવાની તક મળી છે.
પ્રધાનમંત્રીએ છેલ્લાં 9 વર્ષમાં દેશની ઉપલબ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે, ભારતે 190 મિલિયનથી વધારે પરિવારોને LPG સાથે જોડ્યાં છે, ત્યારે દરેક ગામને વીજળી સાથે જોડવાની ઐતિહાસિક સિદ્ધિ પણ નોંધાવી છે. તેમણે લોકોને પાઇપ દ્વારા રાંધણ ગેસ પ્રદાન કરવા માટે કામ કરવા પર પણ વાત કરી હતી, જે થોડા વર્ષોમાં 90 ટકાથી વધુ વસ્તીને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમારો પ્રયાસ તમામ માટે સર્વસમાવેશક, સ્થિતિસ્થાપક, સમાન અને સ્થાયી ઊર્જા માટે કામ કરવાનો છે."
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વર્ષ 2015માં ભારતે LED લાઇટનાં ઉપયોગ માટે એક યોજના શરૂ કરીને એક નાનકડું આંદોલન શરૂ કર્યું હતું, જે દુનિયાનો સૌથી મોટો LED વિતરણ કાર્યક્રમ સાબિત થયો હતો, જે દર વર્ષે આપણને 45 અબજ યુનિટથી વધારે ઊર્જાની બચત કરે છે. તેમણે વિશ્વમાં સૌથી મોટા કૃષિ પંપ સૌરીકરણની પહેલ શરૂ કરવા અને 2030 સુધીમાં ભારતના ઘરેલું ઇલેક્ટ્રિક વાહન બજારના 10 મિલિયન વાર્ષિક વેચાણના અંદાજને પણ સ્પર્શ્યો હતો. તેમણે આ વર્ષે ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના રોલઆઉટની શરૂઆત પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેનો હેતુ ૨૦૨૫ સુધીમાં આખા દેશને આવરી લેવાનો છે. ભારતને ડિકાર્બનાઇઝ કરવા માટે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ તેના વિકલ્પ સ્વરૂપે ગ્રીન હાઇડ્રોજન પર મિશન મોડ પર કામ કરી રહ્યો છે અને તેનો ઉદ્દેશ ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો છે.
