ભારત સરકાર દેશની સરહદોને સુરક્ષિત કરવા અને સરહદી વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ: વિદેશમંત્રી ડૉ.એસ જયશંકર
Live TV
-
નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે સરહદીય માળખું અને જોડાણ અંગે મીડિયાને સંબોધન કર્યું હતું. દેશના સરહદીય માળખા વિશે માહિતી આપતા વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે જણાવ્યું હતું કે, મોદી સરકાર સરહદોને સુરક્ષિત કરવા અને સરહદી વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સશસ્ત્ર દળો માટે ગુણવત્તાયુક્ત માળખું વિકસાવવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય 2014 પછી ચીનની હિલચાલનો વધુ સારી રીતે સામનો કરવામાં સક્ષમ છે. ડૉ. જયશંકરે કહ્યું કે ભારત ભૂટાન અને આસામ વચ્ચે રેલ જોડાણ પર ભૂટાન સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મ્યાનમાર સાથેની સરહદની સ્થિતિ પડકારજનક છે. મંત્રીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે મ્યાનમાર ત્રિપક્ષીય રાજમાર્ગ એક મોટો પડકાર છે અને આ પડકારોને પહોંચી વળવા માટે ભારત મ્યાનમારના સત્તાધીશો સાથે જોડાણ કરી રહ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, ભારત-ચીન વચ્ચે સરહદ વાટાઘાટો અટકી નથી, અને ટૂંક સમયમાં બેઠક યોજાશે અને છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્ય તણાવના મુદ્દાઓ પર પ્રગતિ થઈ છે.
