મણિપુર મુદ્દે સંસદમાં હંગામો યથાવત, લોકસભામાં આજે છ ખરડા રજૂ કરવામાં આવ્યા
Live TV
-
દેશમાં સંસદનું મોનસુન સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે લોકસભામાં કુલ છ ખરડા રજૂ કરવામાં આવ્યા છે. જન્મ-મૃત્યુ નોંધણી સુધારા બિલ, જમ્મુ-કાશ્મીર આરક્ષણ સુધારા બિલ અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ દ્વારા રજુ કરાયા હતા.
જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા બિલ, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સુધારા બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ લોકસભામાં રજૂ કરતાં કોંગ્રેસના મનીષ તિવારીએ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલનો વિરોધ કર્યો હતો. સામાજિક ન્યાય મંત્રી ડો. વીરેન્દ્ર કુમારે જમ્મુ કાશ્મીર અનુસૂચિત જાતિ સુધારા બંધારણીય બિલ રજૂ કર્યું. આ ઉપરાંત, જમ્મુ કાશ્મીર અનુસૂચિત જનજાતિ સુધારા બિલ આદિજાતિ મંત્રી અર્જુન મુંડા દ્વારા રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીએ ખાણ અને ખનીજ નિયમન સુધારા બિલ રજૂ કર્યું. આરએસપીના એન.કે. પ્રેમચંદ્રને બિલનો વિરોધ કરતાં કહ્યું કે તે દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે. તમામ છ બિલો વિરોધપક્ષના હંગામા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા.
સંસદની કાર્યવાહીની વાત કરીએ તો, મણિપુરની ઘટના મુદ્દે વિપક્ષ દ્વારા આજે પણ સૂત્રોચ્ચાર ચાલુ રહેતાં સંસદનાં બન્ને ગૃહની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. લોકસભાની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ટીએમસી સહિતના વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરતા કરતા ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નોત્તરીની કામગીરી હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે વિપક્ષનો હંગામો ચાલુ રહેતાં ગૃહની બેઠક બે વાગ્યા સુધી મુલતવી રખાઈ હતી. બાદમાં ફરી બેઠક મળી ત્યારે પણ ગૃહમાં સૂત્રોચ્ચાર ચાલુ રહેતાં લોકસભાની બેઠક સમગ્ર દિવસ માટે સ્થગિત કરાઈ હતી.
