મહારાષ્ટ્ર તથા પ.બંગાળ સિવાય દેશમાં આવતીકાલથી શરૂ થશે સ્થાનિક વિમાની સેવા
Live TV
-
વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા વંદે ભારત અભિયાન ચાલી રહ્યું છે. નાગરિક ઉડ્યન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં સ્વદેશ લાવવામાં આવ્યા હોય તેવા ભારતીયોની સંખ્યા 50 હજારને આંબી જશે. તે દરમિયાન આવતીકાલ અર્થાત 25 મેથી સ્થાનિક વિમાની સેવા પણ શરૂ થઇ રહી છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રે જણાવ્યું છે કે 31 મે સુધી સ્થાનિક વિમાની સેવા બંધ રહે. જોકે આ અંગે નિર્ણય લેવાનો હજી બાકી છે.
અન્ય રાજ્યોએ વિમાન મારફતે રાજ્યમાં આવનારા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇનના નિયમ બનાવ્યા છે. તે દરમિયાન કેન્દ્રીય ઉડ્યન મંત્રીએ સ્થિતીઓને જોઇને આગામી બે ત્રણ મહિનામાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થવાના પણ સંકેત આપ્યા હતા. સરકારે વિદેશોમાં ફસાયેલા કેટલીક કક્ષાના ઓ.સી.આઇ. કાર્ડધારકોને દેશમાં પાછા ફરવાની મંજૂરી આપી દીધી છે. એરપોર્ટ ઓથોરિટિ ઓફ ઇન્ડિયાએ આવતીકાલથી શરૂ થનારી સ્થાનિક વિમાની સેવા માટે કેટલાક દિશા નિર્દેશ બહાર પાડ્યા છે.
તે સુચના મુજબ પ્રવાસીએ ઉડાનના રવાનગી સમયના બે કલાક પહેલાં વિમાની મથકે પહોંચવાનું રહેશે. પ્રવાસીએ ખાનગી વાહનોની મદદથી વિમાની મથકે પહોંચવાનું રહેશે. વર્તમાનમાં વરિષ્ઠ નાગરિક, ગર્ભવતી મહિલાઓ અને બાળકો હવાઇ સફરથી દૂર રહે તેવી અપીલ પણ કરવામાં આવી છે. તમામ પ્રવાસીને માસ્ક અને ગ્લોવ્ઝ ધારણ કરવા સુચના પણ આપવામાં આવી છે. પ્રવાસીને માત્ર એક હેન્ડ બેગ સાથે પ્રવાસ ખેડવાની મંજૂરી રહેશે. વિમાની મથકે ટ્રોલીનો ઉપયોગ પણ પ્રતિબંધિત રહેશે.
