'મહા' વાવાઝોડાનું વિસર્જન, તો બંગાળની ખાડીમાં 'બુલબુલ' વાવાઝોડાનું આગમન
Live TV
-
રાજ્યભરમાં વરસાદી માહોલ ઉભો કરનાર મહા ચક્રાવાતનું આજે વિસર્જન થઈ જતાં સરકાર-તંત્રથી માંડીને સામાન્ય જનતા સહિતના સહુ કોઈએ હાશકારો અનુભવ્યો છે. આજે વહેલી સવારે તે ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હજુ વધુ નબળા ડિપ્રેશનમાં ફેરવાઇ ચૂક્યું છે.
આ ડિપ્રેશન વેરાવળથી 80 કિલોમીટર દક્ષિણ અને દિવથી 70 કિલોમીટર દક્ષિણ માં પસાર થઇ રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ તે હજુ વધુ નબળું પડીને વેલ માર્ક લો માં પરિવર્તિત થઇ જશે. હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારમાં હવાનું દબાણ 1 હજાર 9 થી 1 હજાર 10 મીલીબાર સુધી નોંધાયું છે.
તેમજ દરિયાની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સુધી નોંધાયું છે. આ દરમ્યાન દરિયાની સ્થિતિ તોફાની રહેવાની સંભાવના છે. આ સીસ્ટમ પૂર્વ તરફ આગળ વધી રહી છે. જોકે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી છે.
બુલબુલનો ખતરોઃ
એક તરફ મહા વાવાઝોડું અરબ સાગરમાં શમ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડું માથું ઉંચકી રહ્યું છે. સાયક્લોનીક સ્ટ્રોમની કેટેગરીમાં આવતું બુલબુલ વાવાઝોડું ઓડિશાના પારાદીપથી દક્ષિણ દક્ષિણ-પૂર્વમાં 680 કિલોમીટર દૂર 21 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં તે તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી પૂરી સંભાવના છે. આ વાવાઝોડું 9 નવેમ્બર બાદ બાંગ્લાદેશ તરફ આગળ વધે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.