યુક્રેનના વિદેશ મંત્રી આજે ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે
Live TV
-
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા આજે ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. દિમિત્રી કુલેબા વિદેશ મંત્રી અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરશે અને અન્ય અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે. યુક્રેનના વિદેશ મંત્રી વેપારી પ્રતિનિધિઓને પણ મળી શકે છે.
વાસ્તવમાં, રશિયા સાથેના સંઘર્ષની શરૂઆત પછી આ પ્રથમ વખત છે જ્યારે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ભારતની મુલાકાત લેશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 માર્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના લોકો-કેન્દ્રિત અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો અને આગળના માર્ગ તરીકે વાતચીત અને કૂટનીતિ માટે આહવાન કર્યું હતું.
ભારત બંને પક્ષો વચ્ચેના તમામ મુદ્દાઓના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. ઝેલેન્સકી સાથેની તેમની ટેલિફોન વાતચીતમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે તેની ક્ષમતા મુજબ બધું કરવાનું ચાલુ રાખશે.