રાજકોટમાં પીએમ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીના હસ્તે અપાશે 'પ્લેન' ની અનોખી ભેટ
Live TV
-
રાજકોટના વિકાસની ઉડાનના પ્રતિક સમાન 'પ્લેન'ને ઇમિટેશનના કારીગરોએ 30 કલાકની જહેમતથી સજાવ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે 27મી જુલાઈએ રાજકોટમાં અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ થનાર છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજકોટના વિકાસની ઉડાનના પ્રતીક સમાન 'પ્લેન'ની ભેટ આપવામાં આવશે. આ 'પ્લેન'ને રાજકોટની વિશેષતા અને વૈશ્વિક ઓળખ એવા ઇમિટેશન આર્ટથી મઢવામાં આવ્યું છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગને અનુરૂપ વડાપ્રધાનશ્રીને ભેટ આપી શકાય તે માટે રાજકોટના ઇમિટેશન વ્યવસાયિકો દ્વારા આ અઢી ફૂટના વિમાનની પ્રતિકૃતિને સજાવીને તૈયાર કરવામાં આવી છે.
સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. એ પછી ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે. આ માટે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશને જહેમત ઉઠાવી હતી અને ઈમિટેશનના નિષ્ણાત 30 કારીગરોને આ કામમાં રોક્યા હતા. આ કારીગરોએ 30 કલાકની સખત મહેનતથી આ 'પ્લેન'ને શણગાર્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે આ વિમાનની પ્રતિકૃતિ સમાન રાજકોટના વિકાસની ઉડાનનું પ્રતિક બની રહેશે.
