સેના પ્રમુખ જનરલ નરવણેએ લદ્દાખમાં ઘાયલ સૈનિકોના પૂછ્યા ખબર
Live TV
-
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈને ગતિરોધ યથાવત છે. ત્યારે આજે સેના પ્રમુખ એમ.એમ નરવાણે લદાખની મુલાકાતે છે. તેમણે લેહ પહોંચ્યા બાદ તરત જ આર્મિ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલ સૈનિકોના ખબર-અંતર પૂછ્યા હતા.
તેમની આ મુલાકાત એવા સમયે લેવામાં આવી રહી છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને ગતિરોધ યથાવત છે. તો ગઈકાલે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાત-ચીત થઈ હતી. સીમા વિવાદને પગલે સુરક્ષા દળને પૂર્વ લદ્દાખમાં અને અન્ય સેક્ટરમાં ચીનના કોઈ પણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ચીન સાથે જોડાયેલી ભારતની સીમાની રક્ષા કરવા માટે ભારત હવેથી અલગ જ રસ્તો કાઢશે. સૈન્યના ઉચ્ચ અધિકારીઓને ભૂમિ, સીમા, હવાઈક્ષેત્ર અને રણનીતિક સમુદ્રી માર્ગે ચીનની ગતિવિધિઓ પર કડક નજર રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
લદાખમાં ભારતીય સૈન્ય અને ચીન વચ્ચે તણાવના માહોલ વચ્ચે દેશની સુરક્ષાની પરિસ્થિતિને લઈને ગઈકાલે સેનાપ્રમુખ જનરલ એમ.એ.નરવાણેએ દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની સાથે બેઠક કરી હતી. કમાન્ડર કોન્ફરન્સના બીજા તબક્કાની રણનીતિ અને ચર્ચા કરવા માટે કમાન્ડર્સ આજે પણ રાજધાની દિલ્હીમાં છે.
