LAC પર સૈન્ય ગતિરોધ દૂર કરવા ભારત અને ચીન વચ્ચે લેફ્ટન્ટ જનરલ કક્ષાની બેઠક
Live TV
-
વાસ્તવિક અંકુશ રેખા પર સૈન્ય ગતિરોધ દૂર કરવા આજે ભારત અને ચીન વચ્ચે લેફ્ટન્ટ જનરલ કક્ષાની બેઠક શરૂ થઇ ચૂકી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહ કરી રહ્યા છે. હરિન્દરસિંહ લેહ સ્થિત 14 કોર ના જનરલ ઓફિસર કમાન્ડર છે. ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ સૈન્ય જિલ્લા કમાન્ડર કરી રહ્યા છે. પૂર્વ લદ્દાખના ચુશુલ સેક્ટરમાં માલ્દો ખાતે સવારે આ બેઠક શરૂ થઇ ચૂકી છે. મનાઈ રહ્યું છે, કે આજની બેઠકમાં ભારતીય પક્ષ પેંગોંગ સો અને ગાલ વાન સેકટરમાં સ્ટેટસ ક્વો રાખવાનો આગ્રહ રાખશે. જેથી પાંચ મે ના રોજ બંને સૈન્ય વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણ પછી ચીન દ્વારા ઉભી થયેલી હંગામી છાવણીઓને ધીરે ધીરે દૂર કરીને તંગદીલીમાં ધીરે ધીરે ઘટાડો થઇ શકે. ગયા મહિને સૈન્ય ગતિરોધ સર્જાતાં ભારતીય સૈન્ય નેતૃત્વએ પેંગોંગ સો અને ગાલ વાન ઘાટી અને દોલત બેગ સહિતના તમામ વિસ્તારમાં ચીની સૈનિકોના આક્રમક વલણનો સામનો કરવા દ્રઢ દ્રષ્ટિકોણ અપનાવવા નિર્ણય લીધો હતો. ભારત અને ચીન વચ્ચે ચાર હજાર 488 કિ.મી. લાંબી વાસ્તવિક અંકુશ રેખા છે. આ પહેલાં શુક્રવારે ભારત અને ચીન દ્વારા દ્વિપક્ષીય ધોરણે સ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ભારત તરફથી પૂર્વ એશિયાના વિદેશ સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ અને ચીની વિદેશ મંત્રાલયના મહાનિર્દેશક વુ ચિઆંગ ગોહે ભાગ લીધો હતો. બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ અને સ્થિર સંબંધ અને વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં સ્થિરતા જાળવવા બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે કોઇ વિવાદ ઉભો ના થાય તેની તકેદારી રાખવાને મુદ્દે પણ ચર્ચા થઇ હતી..
