PM મોદીએ આસામમાં પૂરના કારણે મૃત્યુ પામનારા લોકોને 2 લાખની મદદની કરી જાહેરાત
Live TV
-
આસામમાં પુર પ્રકોપના કારણે રાજ્યમાં હજી પણ 20 જિલ્લા અસરગ્રસ્ત છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં સ્થિતિમાં સુધારા થવાના સંકેત મળ્યાં છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર જળસ્તર હજી પણ ભયજનક સપાટી એ છે.
પુરના કારણે રાજ્યમાં 13 લાખ 26 હજાર થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યાં છે, તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં એક વ્યક્તિનું મોત થતાં રાજ્યમાં પુરના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 35 પર પહોંચી ગઇ છે.
પ્રદેશમાં કુલ મળીને 156 રાહત શિબિર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં 11 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યાં છે. SDRF અને NDRF દ્વારા શરૂ કરાયેલા રાહત બચાવ અભિયાનમાં છેલ્લાં 24 કલાકમાં 1,180 થી વધુ લોકોને સુરક્ષીત કાઢવામાં આવ્યાં છે.
રાજ્યનું પ્રસિદ્ધ કાઝિરંગા પાર્ક હજી પણ પાણીમાં ગરકાવ છે. આસામમાં પુર અને ભૂસ્ખલનની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી. આ વાત ચીત બાદ ,પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લોકોને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, આસામમાં પુર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત પણ કરી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના કેટલાંક રાજ્યોમાં સર્જાયેલી પુરની પરિસ્થિતિને લઈને સમીક્ષા બેઠક બોલાવી હતી.
અમિત શાહે અધિકારીઓને પુરની અસર ઘટાડવા અને જાનહાનીનું ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે એક સુનિશ્ચિત યોજના બનાવવા માટે આદેશ આપ્યો છે.
