કેદારનાથ ધામના દર્શન માટે ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ, ચારધામ માટે અત્યાર સુધીમાં 10.66 લાખ નોંધણી
Live TV
-
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રશાસન દ્વારા આ અંગેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ વખતે મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતા છે. કેદારનાથ ધામ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 મેથી શરૂ થનારી કેદારનાથ ધામની યાત્રામાં સૌથી વધુ યાત્રિકોએ નોંધણી કરાવી છે. કેદારનાથ માટે અત્યાર સુધીમાં 3 લાખ 52 હજાર 879 શ્રદ્ધાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ખરેખર, ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ માટે કુલ 10 લાખ 66 હજાર 157 યાત્રાળુએ નોંધણી કરાવી છે. ચારધામ અને હેમકુંડ સાહિબ માટે દરરોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી રહ્યા છે. 15 એપ્રિલે સવારે 7 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ચારધામ યાત્રા રજીસ્ટ્રેશનમાં યમુનોત્રી માટે 1 લાખ 93 હજાર 998, ગંગોત્રી માટે 2 લાખથી વધુ, કેદારનાથ માટે 3 લાખ 52 હજાર 879, બદ્રીનાથ માટે 3 લાખ 4 હજાર 243 અને હેમકુંડ સાહિબ માટે 14 હાજર 41 યાત્રાળુઓની નોંધણી થઈ છે. અત્યાર સુધી થયેલા રજીસ્ટ્રેશનમાંથી 1 લાખ 37 હજાર 649 રજીસ્ટ્રેશન ટુરીઝમ કેર ઉત્તરાખંડ મોબાઈલ એપ દ્વારા, 8 લાખ 32 હજાર 705 registrationandtouristcare.uk.gov.in વેબ પોર્ટલ દ્વારા અને 95 હજાર 803 વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન માટેના આ વિકલ્પો યાત્રાળુઓ માટે એકદમ સરળ છે.
ઉત્તરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. 10 મેના રોજ બાબા કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. મા ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પણ 10મી મેના રોજ અક્ષય તૃતીયા પર ખુલશે. જ્યારે ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે. યાત્રાની તમામ તૈયારીઓને સરકારી સ્તરે આખરી ઓપ અપાઈ રહ્યો છે. હેમકુંડ સાહિબની યાત્રા 25મી મેથી શરૂ થશે.